રશિયાની બૉલ્શેવિક ક્રાંતિ 1917
ઈ.સ. 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે . રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી . રશિયામાં વંશપરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા . ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા . પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની ઉપર અત્યાચાર , દમન અને જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઈબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી . આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ , ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ . રશિયાના ખેડૂતો , ખેતદાસો , મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું . તેમની સ્થિતિ કંગાળ બની હતી .
ફાધર ગૅપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટરપેલેસ ગયા ( 22 મી જાન્યુઆરી , 1905 રવિવાર ) . આ તમામ લોકો નિઃશસ્ત્ર હતા . કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં ‘ રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો ' જેવાં સૂત્રો લખેલા હતા . આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો . તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પિટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો , આ દિવસને ઇતિહાસમાં ‘ લોહિયાળ રવિવાર ’ તરીકે ઓળખવામાં આવે છે . આ અરસામાં રશિયા - જાપાન યુદ્ધ ( 1904-05 ) માં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતાં રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ . રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહિ બોલાવેલી ડુમા ( DUMA ધારાસભા ) બોલાવવાની જાહેરાત કરી . સમયાંતરે ચાર ડુમા બોલાવવામાં આવી ; પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવાં પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી .
8 મી માર્ચ , 1917 ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાળ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું ; પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી . પરિણામે ક્રાંતિનો આરંભ થયો . ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્ત્વ મેન્શેવિક પક્ષ ( લઘુમતી ) ના હાથમાં સત્તા આવી . ઝારશાહીનું પતન થતાં એક માત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા ; પરંતુ લેનિન કાર્લમાર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો . જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમવર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા . પરિણામે તેણે બૉલ્શેવિકોને મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917 માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી જે સમાજવાદી બૉલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ .
આમ , ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો . 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें