ગુજરાતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો : Cultural Heritage Sites of Gujarat
ગુજરાત શિલ્પ - સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે . અહીં ગુફા સ્થાપત્યો , મંદિરો , મસ્જિદો , કિલ્લાઓ , વાવ , તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે . હવે ગુજરાતનાં સાસ્કૃતિક વારસાનાં સ્થળોનો પરિચય મેળવીએ .
ધોળાવીરા અને લોથલ :-Dholavira and Lothal
ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતાં . ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે . ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે . આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમાં ઘરેણાં બનાવવાનાં તથા મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે . લોથલ અમદાવાદ - ભાવનગર હાઈવે નજીક આવેલું એક પુરાતત્ત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજજ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું .
જૂનાગઢ :-Junagadh
જૂનાગઢમાં અશોકનો શિલાલેખ , ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ , જૈન મંદિરો , દામોદર કુંડ , અડીકડીની વાવ , જૂનો રાજમહેલ , નવઘણ કૂવો , મહાબતખાનનો મકબરો , બહાઉદીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે . મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે .
અમદાવાદ : -Ahmedabad
અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય . અમદાવાદમાં ભદ્રનો કિલ્લો , જામા મસ્જિદ , રાણી સીપ્રીની મસ્જિદ , સરખેજનો રોજો , કાંકરિયા તળાવ , ઝુલતા મિનારા , સીદી સૈયદની જાળી , હઠીસિંહનાં દેરાં , રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે . સારંગપુર દરવાજા બહાર રાજપુર - ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા તેના કંપનના વણ ઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે . અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી પ્રખ્યાત છે .
પાટણ ( ઉત્તર ગુજરાત ) :- Patan (North Gujarat)
પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ , રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે . પાટણથી 26 કિમી દૂર આવેલ સિદ્ધપુરમાં રૂદ્ર મહાલયનાં ભગ્ન અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે . ભીમદેવ પહેલાનાં રાણી ઉદયમતિએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે રાણીની વાવ કહે છે . ઈ.સ. 2014 માં યુનસ્કો દ્વારા વૈશ્વિક વારસાનાં સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે . રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી . પાટણમાં ઈ.સ. 1140 માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું . આ ઉપરાંત વડનગરમાં કિલ્લો , શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ જોવાલાયક સ્થળો છે . પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવ્યાં છે . શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે . તેની સ્થાપત્ય કલા બેનમૂન છે .
ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું . એમાં જૂનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી , જૂનાગઢ ગિરનારમાં ઈટવા બૌદ્ધ સ્તૂપના અવશેષ પ્રાપ્ત થયા છે . એ ઉપરાંત બાવાપ્યારા , ઉપરકોટ , ખાપરા કોડિયા , ખંભાલિડા , તળાજા , સાણા , ઢાંક , ઝીંઝુરીઝર , કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલાં છે .
વાવ એ પગથિયાંવાળો કૂવો છે . પગથિયાને એક , બે , ત્રણ , કે ચાર મુખ અને ત્રણ , છ નવ કે બાર કુટ ( મજલા ) હોય છે . વાવના મુખ્ય નંદા , ભદ્રા , જયા અને વિજ્યા પ્રકાર છે .
ગાંધીનગર પાસે અડાલજની વાવ , પાટણની રાણીની વાવ , જૂનાગઢની અડી કડીની વાવ , ઉપરાંત નડિયાદ , મહેમદાબાદ , ઉમરેઠ , કપડવંજ , વઢવાણ , કલેશ્વરી ( મહીસાગર જિલ્લો ) વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે .
ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલાં છે . એમાંથી કેટલાંક દેરાંઓનુ નિર્માણ 11 મી સદીમાં થયું છે . મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે . અહીં તારામાતાનું મંદિર પણ છે . ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે . ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પૂર્ણ નથી . આ સિવાય અન્ય સ્થળો પણ છે , એ ગુજરાતની સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરે છે .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें