ચિત્ર - વિચિત્રનો મેળો
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી ૫૦ કિ.મી. દૂર ગુણભાંખરી ગામે ચિત્ર વિચિત્રનો મેળો ભરાયો હતો . ત્રણ નદીઓના સંગમ કિનારે આવેલા મહાદેવના મંદિરે મોટો મેળો ભરાયો હતો . આ મેળામાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ - બહેનો ઊમટી પડ્યાં હતાં . હોળી પછીના ચૌદમા દિવસે એટલે કે ફાગણ વદ ચૌદસે ભરાતો ચિત્ર - વિચિત્રનો મેળો તેના નામ પ્રમાણે વિચિત્ર છે . સાબરકાંઠા જિલ્લાની અતિ પછાત ભલીભોળી આદિવાસી પ્રજાએ આગવી લોકશૈલી અને સંસ્કૃતિ માટે મોખરાનું સ્થાન હસ્તગત કર્યું છે . મહાભારત - રામાયણમાં સર્જાયેલી ઘટનાઓનાં સ્થળો સમસ્ત ભારતમાં ઠેકઠેકાણે પથરાયેલાં પડ્યાં છે . સાબરકાંઠામાં આવું એક સ્થળ છે , જેની સાથે મહાભારતના ચિત્રવર્ય અને વિચિત્રવીર્યના પુત્રોનાં નામ સંકળાયેલાં છે . પૌરાણિક કાળથી એવી માન્યતા છે કે , હસ્તિનાપુર ( આજનું દિલ્હી ) ના શાસનકર્તા શાંતનુને બે પુત્રો હતા , ચિત્રવર્ય અને વિચિત્રવર્ય , જે તેઓનાં માતા સત્યવતી ( જે મત્સ્યગંધા તરીકે પણ જાણીતાં હતાં ) અને રાજા શાંતનુના જયેષ્ઠ પુત્ર દેવવ્રત ( મહાભારતના ભીષ્મ ) વચ્ચેના સંબંધો અંગે ખોટી માન્યતા ધરાવતા હતા . પાછળથી પોતાની ભૂલ તેઓને સમજાતાં પોતે જાતે જ બલિદાન આપી અગ્નિસ્નાન કર્યું હતું . આ બલિદાન તેમણે ગુણભાંખરી નામની ટેકરી પાસેના ત્રિવેણી સંગમસ્થળે કર્યું હતું . પોતાની ગેરસમજથી થયેલી ભૂલના પસ્તાવાના કારણે દેહત્યાગ કરનાર બંને ભાઈઓની યાદમાં ચિત્ર - વિચિત્ર મેળો યોજાય છે . ગુજરાત રાજ્યમાં ભરાતા આ લોકમેળામાં રાજસ્થાનના ઉદેપુર - કોટડા - છાવણી , ખેડબ્રહ્માના લાખિયા - કાગવાસી અને શિહોરી પરગણાના આદિવાસી તેમજ ગુજરાતના ડુગરી ગરાસિયા તથા રબારીઓ - પોશીના પટાના તેમજ દાંતાના ભીલો વધુ પ્રમાણમાં જોવા મળે છે . સમગ્ર ભારતમાં આ અનોખો અને ભાતીગળ આદિવાસી લોકમેળો જબરું આકર્ષણ ધરાવેછે . અહી આદિવાસી સ્ત્રી - પુરુષોને મન મૂકીને ઝૂમતા નિહાળવાનો લહાવો છે . આદિવાસી સમાજ શિક્ષણ કરતાં પોતાની અંગત જિંદગીને વધુ મહત્ત્વ આપતો હોવાનું જોઈ શકાય છે . મેળાના સ્થાન અંગે ચાલતી દંતકથા મુજબ હજાર વર્ષ કરતાં પણ પુરાણી ઘટનાનો ઇતિહાસ વાગોળતું આ છે રાજસ્થાનની સરહદને અડીને આવેલું ગુજરાત પ્રવાસન ધામનું સ્થળ ચિત્ર - વિચિત્ર મહાદેવનું મંદિર . અહીં મહાભારતકાળના રાજા શાંતનુના પુત્રો ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય મનનાં પાપ નિવારવા માટે અગ્નિપ્રવેશ કરી દેહ હોમ આપી હતી . સાબરમતી , આકુળ અને વ્યાકુળ નદીના ત્રિવેણી સંગમે આવેલું આ સ્થળ શ્રદ્ધાકેન્દ્ર સાથે પિતૃની તૃપ્તિ માટેનું કેન્દ્ર બની ગયું છે . કેટલાક વિદેશી પર્યટકો પણ ચિત્ર - વિચિત્રના ભાતીગળ મેળાની મોજ માણવા મોટી સંખ્યામાં ઊમટી પડે છે . વહેલી સવારે ભિલોડા , હિંમતનગર , શામળાજી , પ્રાંતિજ અને ખેડબ્રહ્માના આદિવાસીઓ નદીમાં પિતૃઓનાં અસ્થિનું વિસર્જન કરે છે . પારંપરિક રિવાજો પ્રમાણે એમના પૂર્વજોનાં વિધિપૂર્વક અસ્થિ સંગમમાં પધરાવી પિતૃશ્રાદ્ધ કર્યું હતું . ત્યારબાદ ચિત્ર - વિચિત્રેશ્વર મંદિરમાં દર્શન કરી મેળાની મજા માણી હતી અને રંગબેરંગી આદિવાસી પોશાક અને ઘરેણાંમાં સજ્જ આદિવાસી સ્ત્રી - પુરુષો અને યુવક - યુવતીઓએ સમૂહમાં તાલબદ્ધ નાચતાં ગીતોની રમઝટ બોલાવી હતી . આદિવાસી મેળામાં મેળાની આગવી રાત પૂર્વે ઢળતી સંધ્યાએ દૂર દૂરના ડુંગરોની ઊંચી ટેકરીઓમાંથી રંગબેરંગી વસ્ત્રપરિધાન કરી આદિવાસી ભાઈઓ અને બહેનો નાનાં બાળકો સાથે ઊભરાવા માંડે છે . ગુજરાત રાજ્યના વનવાસીઓના મેળામાં ધંધો - રોજગાર કરવા અનેક વ્યાવસાયિકો નદીના વિશાળ પટ ઉપર ઠેર ઠેર તંબુ તાણી પડાવ નાખે છે . આ મેળામાં આંખનાં કામણ સર્જાય , પ્રીતડી બંધાય , ભવોભવના સાથની ગાંઠ બંધાય અને રૂમાલ આદાન પ્રદાન થાય . પ્રેમનાં પ્રતીક વ્યક્ત કરતાં યુવક - યુવતીઓ વર - કન્યાની શોધ આદરે છે . યુવક - યુવતીઓ એકબીજાને ટોપરુ અને ગોળ ખવડાવી પોતાના જીવનસાથી પસંદ કરે છે . આખી રાત ચિત્ર - વિચિત્રના મેળામાં દેવના સાંનિધ્યમાં અહીં ભજન - કીર્તન કરવામાં આવે છે . આખા વર્ષનાં પાપોમાંથી મુક્ત થાય છે . વહેલી સવારે પાંચ વાગ્યે અરવલ્લી હારમાળાઓની ઊંચી ટેકરીઓમાંથી ઢુબાક ... ઢુબાક ... ઢોલ વાગે ત્યારે ત્રિવેણી સંગમની નદીના વિશાળ પટમાં અસ્થિવિસર્જન માટે નદીના કિનારે જગ્યા રોકીને આખી રાત પથ્થરો ઉપર પડાવ નાખીને તૈયાર થઈ જાય છે . અસ્થિવિસર્જન કરતાં પહેલાં મોટી સંખ્યામાં આદિવાસી બહેનો અને સગાં - વહાલાંઓ નદીના વિશાળ પટ ઉપર પોક મૂકીને એકબીજાને ભેટીને હૈયાફાટ રુદન કરે છે . સ્વજનોને યાદ કરીને ઊંચા અવાજે રડવાનું શરૂ થાય , ઘરનો મોભી મરનારનાં હાડકાં લઈ નદીમાં સ્નાન કરી અંદર હાડકાં ધોઈ વિસર્જન કરીને બહાર આવે છે . ઘરની કુવાસી દીકરી - બહેન ફોઈ ધોતિયું પહેરાવે તે પહેરવું પડે છે અને લાલ - પાઘડી પહેરાવે પછી ચૂરમું બનાવે . ઘઉંના - દાણામાં શેકેલા બાટા ભાંગી ભૂકો કરી અંદર ગોળ અને તેલ ભેળવીને તમામ સગાં - વહાલાંને પ્રસાદીની જેમ આપે અને પછી શોક ભાંગે . આદિવાસી ભાઈઓ હવે કૉમ્પ્યુટર જમાનામાં આવી ગયા છે . બજારોમાંથી સારી તૈયાર બુંદીના લાડુ છૂટી બુંદી લાવીને પડિયામાં પ્રસાદીની જેમ આપતા હોય છે . આમ સવારે પાંચથી સવારે ૧૦ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલે છે .
આદિવાસી મેળામાં મેળાની આગવી રાત પૂર્વે ઢળતી સંધ્યાએ દૂર દૂરના ડુંગરોની ઊંચી ટેકરીઓમાંથી રંગબેરંગી વસ્ત્રપરિધાન કરી આદિવાસી ભાઈઓ અને બહેનો નાનાં બાળકો સાથે ઊભરાવા માંડે છે . ગુજરાત રાજ્યના વનવાસીઓના મેળામાં ધંધો - રોજગાર કરવા અનેક વ્યાવસાયિકો નદીના વિશાળ પટ ઉપર ઠેર ઠેર તંબુ તાણી પડાવ નાખે છે . આ મેળામાં આંખનાં કામણ સર્જાય , પ્રીતડી બંધાય , ભવોભવના સાથની ગાંઠ બંધાય અને રૂમાલ આદાન પ્રદાન થાય .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें