ચૈત્રી પૂનમનો મેળો ( બહુચરાજી )
ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લામાં મહેસાણાથી ૩૫ કિમી અને અમદાવાદથી ૧૧૦ કિમીના અંતરે ચુંવાળ પંથકમાં બેચરાજી ( બહુચરાજી ) મુકામે ચૈત્ર મહિનાની પૂનમના રોજ ચૈત્રી પૂનમનો મેળો ભરાય છે . ચૈત્રી પૂનમ - માતાજીના પ્રાગટ્યના દિવસે બહુચરાજીમાં વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે . પૂનમનો મેળો ત્રણ દિવસ ચાલે છે , તેરસથી પૂનમ સુધી . પૂનમના દિવસે પગપાળા સંઘો દ્વારા અને વાહનોમાં માના ભાવિક ભક્તો લાખોની સંખ્યામાં મા બહુચરનાં દર્શને આવી પહોંચે છે . મેળાની શરૂઆત પૂનમના દિવસે સવારની આરતીથી થાય છે , સાંજની સંધ્યા આરતી બાદ રાત્રે સાડા નવ વાગ્યે માતાજીની પાલખી બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર મંદિરે જાય છે , ત્યાંથી રાત્રે બે વાગ્યે બહુચરાજી મંદિરે પરત ફરી આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થાય છે . બહુચરાજી વ્યંડળ સમાજની ગુરુગાદી અને સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાના કારણે ચૈત્રી પૂનમના મેળામાં ભારતભરમાંથી વ્યંડળો ઊમટી પડે છે . માસી અને માતાજીના ઉપનામથી ઓળખાતા વ્યંડળો બહુચરના પ્રખર ભક્તો ગણાય છે . બહુચરાજી ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંનું સિદ્ધશક્તિપીઠ છે . અહીં દક્ષ રાજાની પુત્રી મા ભગવતી ( પાર્વતી ) ના હાથ પડેલા એવું માનવામાં આવે છે . આદ્યશક્તિ ત્રિપુરાસુંદરીનું બાલ સ્વરૂપ એટલે મા બહુચર . ચાચરના ચોકવાળી મા બહુચરા . મંદિરનો ઇતિહાસ જોઈએ તો મુખ્ય મંદિર , મંદિર ફરતે કિલ્લો અનેમુખ્ય દ્વાર તે સમયના કડીના સૂબા શ્રીમંત માનાજીરાવ ગાયકવાડે સંવત ૧૮૩૯ માં બંધાવેલાં , તેમણે મંદિરના ખર્ચ માટે ત્રણ ગામ આપ્યાં . આ ઉપરાંત દર વર્ષે ૧૦,૫૦૦ રૂપિયા આપતા . વચ્ચેનું મંદિર મરાઠા નાના ફડનવીશે બનાવ્યું હતું . વરખડી મંદિર સંત કપિલદેવે બનાવ્યું , પછી કાલરીના રાજા તેજમલસિંહે પુનરુદ્ધાર કર્યો . મંદિર પરિસર આદ્ય સ્થાન , મધ્ય સ્થાન અને મુખ્ય મંદિર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે . મુખ્ય મંદિરમાં સ્ફટિકનું બનેલું સોનાથી મઢેલું બાલમંત્ર આવેલું છે , તેની પૂજા થાય છે અને દેશવિદેશમાંથી આવતા માતાના ભક્તો તેનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . મા બહુચર જુદાં જુદાં સ્વરૂપે પ્રગટ થયાં હતાં એવો ઇતિહાસ છે . દંડાશૂર રાક્ષસના રાજ્યની રાજધાની રાજપુરા ( હાલનું દેત્રોજ ) હતી . માએ છોકરીનું રૂપ ધારણ કરી દંડાશૂરનો વધ કરેલો . આ ઉપરાંત ભગવાન કપિલમુનિ અને કર્દમમુનિની પ્રાર્થનાથી દર્શન આપ્યાં હતાં . એક કથા અનુસાર વખડીના ઝાડ નીચે ભરવાડના છોકરાઓએ નાના તાંબાના વાસણમાં ભાતની પ્રસાદી માતાજીને અર્પી , તે સમયે ત્યાંથી રાજાએ બધા સૈનિકો માટે પ્રસાદ માગ્યો , માતાજીના ચમત્કારથી બધા સૈનિકોને ભાતનો પ્રસાદ આપ્યો તો પણ ખૂટ્યો નહીં . કાલરીના રાજા સોલંકી વજેસિંહની પુત્રી તેજમલબા મંદિરની બાજુમાં આવેલા માનસરોવર કુંડના કાંઠે બેઠાં હતાં ત્યારે તેમણે જોયું , કુંડમાં ઉતારેલી કૂતરીએ કૂતરાનું રૂપ ધારણ કર્યું . ત્યાર બાદ પોતાની ઘોડી પાણીમાં ઊતરતાં ઘોડો બની પછી પોતે કુંડમાં સ્નાન કરવાથી તેજમલબામાંથી તેજમલસિંહ બનાવી માતાજીએ પોતાના તેજસ્વી સ્વરૂપનાં દર્શન આપેલાં એવી લોકકથા પ્રચલિત છે . આ જગ્યાએ ઘણા ચમત્કારો પણ થાય છે . કડીના સૂબા શ્રીમંત માનાજીરાવ ગાયકવાડને માની કૃપાથી પીઠના રોગમાંથી મુક્તિ મળેલી . અલાઉદ્દીન ખિલજીના સૈનિકો કૂકડાને મારીને ખાઈ ગયા , માતાજીએ સૈનિકોના પેટમાં જીવતા કૂકડા બોલાવ્યા હતા . ભક્ત જડુરામ ભટ્ટના પુત્રનાં લગ્નમાં માતાજી પોતે પધાર્યાં હતાં . માતાજીએ વલ્લભ ભટ્ટને દર્શન આપ્યાં અને તેર વર્ષની ઉંમરે વલ્લભ ભટ્ટે મા સરસ્વતીના આશીર્વાદથી ‘ આંનદનો ગરબો ’ લખ્યો . કહેવાય છે કે રોજ આનંદનો ગરબો ગાવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે . મા બહુચર ઘણી બધી જ્ઞાતિની કુળદેવી હોવાથી હિંદુ ધર્મમાં ૧૬ સંસ્કારોમાં એક એવી ચૌલ ક્રિયા ( બાબરી ) ની વિધિ માટે દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે . ભગવાન કૃષ્ણની બાબરી પણ અહીં ઉતારી હોવાનો ઉલ્લેખ મળે છે . પુત્રપ્રાપ્તિ માટે , રોગમાંથી મુક્તિ માટે ભક્તો માતાજીની જુદી જુદી બાધા માનતા રાખે છે , મા તેમની માનતા પૂર્ણ કરે છે . અહીં ભક્તો માતાજીને ચાંદીની આંખ તથા જીભ ચડાવે છે . ચૈત્રી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં આવતા પગપાળા સંઘો માટે માના ભક્તો સેવાકેમ્પોનું આયોજન કરે છે . આ ઉપરાંત તાલુકા વહીવટી તંત્ર દ્વારા મેળામાં પ્રાથમિક આરોગ્ય સહિત યાત્રાળુઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે .
મા બહુચર ઘણી બધી જ્ઞાતિની કુળદેવી હોવાથી હિંદુ ધર્મમાં ૧૬ સંસ્કારોમાં એક એવી ચૌલ ક્રિયા ( બાબરી ) ની વિધિ માટે દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે . ભગવાન કૃષ્ણની બાબરી પણ અહીં ઉતારી હોવાનો ઉલ્લેખ મળે છે . પુત્રપ્રાપ્તિ માટે , રોગમાંથી મુક્તિ માટે ભક્તો માતાજીની જુદી જુદી બાધા - માનતા રાખે છે , મા તેમની માનતા પૂર્ણ કરે છે . અહીં ભક્તો માતાજીને ચાંદીની આંખ તથા જીભ ચડાવે છે .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें