ઐઠોર ગણપતિદાદાનો મેળો
ગણપતિદાદાનું પૌરાણિક મંદિર , એક દુર્લભ યાત્રાધામ ઐઠોર આદિકાળથી માનવી પોતાના જીવનની સફળતા માટે વિઘ્નોના પરિતાપમાંથી બચવા વરુણ , અગ્નિ , ગણેશ તેમજ પ્રકૃતિનાં અન્ય તત્ત્વોની પૂજા કરતો આવ્યો છે . આજે પણ સમગ્ર માનવસમુદાય આવી ધાર્મિક માન્યતાઓના બળે દેવ - દેવતાઓને પોતાના રક્ષણદાતા માને છે . દેવતાઓને રીઝવવા યજ્ઞો આજે પણ કરે છે . ભાગવત પુરાણોમાં ભૂત , પિશાચ , ડાકિની , રાક્ષસ , યક્ષ અને આત્મક ગ્રહ આપણા વિઘ્નકર્તાઓ તરીકે સ્વીકાર્ય બનેલાં છે . આ તમામ વિઘ્નકર્તા ગણોને કાબૂમાં લેવાનું કાર્ય કરનાર દેવ એટલે ગણપતિ . ગણપતિ વિઘ્ન હરનાર દેવનું સૌમ્ય સ્વરૂપ છે , જ્યારે વિનાયક એ પીડા કે ઉપાધિ લાવનાર છે જે તેમનું રૌદ્ર સ્વરૂપ છે . ઐઠોર ગામની પવિત્ર ધરતી ઉપર પુષ્પાવતી નદીના કાંઠા પર રેણુમાંથી બનાવેલું ડાબી સૂઢવાળા વિઘ્નહર્તા ગણપતિદાદાનું ભવ્ય સ્થાન ઐઠોર ગામની શોભામાં અભિવૃદ્ધિ કરી ઇતિહાસમાં બેનમૂન સ્થાન પામ્યું છે . આ સ્થળે સૌપ્રથમ મંદિર કોણે બંધાવ્યું તેના ચોક્કસ ઉલ્લેખ મળતા નથી , પણ ૧૩ મી સદીમાં હિન્દુસ્તાનમાં ચઢાઈ કરી આવનાર ધર્માંધ શાસક અલ્લાદીન ખિલજીએ આક્રમણ દરમ્યાન આ મંદિરની સ્થાપત્યકળાને ખંડિત કરી નુકસાનપહોંચાડેલું . ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું અનોખું અને અદકેરું મહત્ત્વ છે . મેળાઓનું જ્યાં માનવમહેરામણ ઊમટે , જ્યાં માનવોનાં મન મળે , હૈયે હૈયું મળે અને વિચારોની આપ - લે થાય , સંસ્કાર - સરિતાનાં વહેણ વહેતાં થાય , ધાર્મિકતા કેળવાય અને એટલા જ માટે થયું આ સુંદર મેળાઓનું સર્જન . આવો જ એક સુંદર મેળો એટલે ઐઠોરમાં દર વર્ષે ચૈત્ર માસની સુદ ત્રીજથી પાંચમ સુધી ત્રણ દિવસનો યોજાતો મેળો એટલે ગણપતિદાદાનો ચોથનો મેળો . શુકનફળનો વરતારો કાઢવાના મેળા તરીકે પ્રખ્યાત ભવ્ય ભાતીગળ ધાર્મિક લોકમેળો એટલે ગણપતિદાદાનો ચોથનો મેળો , જ્યાં શુકન - વરતારામાં આવનારા વર્ષનાં લેખાં - જોખાંની જાહેરાત થાય . ફૂલો , અનાજની ખરવાડ અને બત્રીસીના શુકનનું મહત્ત્વ ખૂબ જ રમ્ય પ્રભાવશાળી દેશ્ય રહે છે . નાયકભાઈઓ સારા શુકન લઈ , ભૂંગળ જેવા વાજિંત્રના સૂર રેલાવતા તેમના આગમનની દુહાઈ આપતા ગામચોરે આગમન કરે છે . ચૈત્ર સુદ ત્રીજના દિવસે બાંધેલા ઘૂઘરા સુદ - છઠ્ઠના દિવસે બપોરે છૂટે છે . ત્યાં સુધી ગામમાં કેટલીક બાબતોનો અણુજો પળાય છે . આ દિવસોમાં રાત્રિના સમયે ભવાઈ ગણપતિનો વેશ , કજોડાં , જૂઠણ જેવા વેશ શુદ્ધ માર્મિકતાથી ભજવાય છે . આગામી વર્ષફળનો વરતારો એ આ ધાર્મિક મેળાનું આગવું આકર્ષણ છે . ચોથના દિવસે નમતી બપોરે ગામચોકમાં સભા બેસે છે . નાયકભાઈઓ કથા માંડે છે . ચોક્કસ સમયે કથા પૂરી કરી સભા સારા શુકન લઈને ગણપતિદાદાના જયઘોષ સાથે ગણપતિ મંદિર તરફ પ્રસ્થાન કરે છે . વચ્ચેથી તલાટી જૈન વણિકને સભામાં સાથે લેવામાં આવે છે , જે વંશ પરંપરાગત આ હોદ્દો નિભાવે છે . આ સમયે રસ્તાની બંને બાજુ ઊભરાતી હકડેઠઠ માનવમેદની ગણપતિદાદાના જયઘોષમાં તાલ પુરાવે છે . તલાટીને લઈને સભા ગણપતિ મહારાજ કી જય .... ના સતત ગગનભેદી જયઘોષ કરતી ગણપતિ મંદિરે પહોંચી દાદાનાં દર્શન કરે છે . માળીભાઈઓ તરફથી આવેલી વિવિધ પ્રકારની છાબડીઓમાં લાવેલાં ફૂલો , ફૂલોના હાર , કઠેડી , ચંદરવો , તોરણ ગણપતિદાદાને ચઢાવવામાં આવે છે . બધા ( દાદાની મૂર્તિ સન્મુખનો ચોક ) ખરવાડમાં બેસે છે . સભામાં આવેલાં ફૂલોના પ્રકાર , રંગ , જથ્થો અને સંખ્યા , સમય વગેરે બાબતોને ધ્યાનમાં લઈ , તે ઉપરથી શુકન એટલે આગામી વર્ષફળનો વરતારો કાઢવામાં આવે છે . આ શુકન એ આ ધાર્મિક મેળાનું ખાસ મહત્ત્વનું આકર્ષણ છે , જે જોવા જાણવા અને માણવા માટે લોકો દૂર - દૂરથી મેળામાં આવે છે અને દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે . એટલું જ નહીં , દર મહિનાની વદ - ચોથ ( સંકટચોથ ) ના દિવસે ઐઠોર ગણપતિદાદાનો સુંદર મેળો ભરાય છે . લોકો શુદ્ધ ભાવથી , શુદ્ધ આશયથી દાદાની ટેક , બાધા કે આખડી રાખે છે . સંકલ્પના પૂરી થતાં દાદાના મંદિરે આવી તેમાંથી છુટકારો મેળવી ધન્યતા અનુભવે છે . આ છે ઐઠોરના ગજાનંદ ગણપતિદાદાનું આગવું અદમ્યતાભર્યું મહત્ત્વ . જય ગણપતિ દાદા ....
ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું અનોખું અને અદકેરું મહત્ત્વ છે . મેળાઓનું જ્યાં માનવમહેરામણ ઊમટે , જ્યાં માનવોનાં મન મળે , હૈયે - હૈયું મળે અને વિચારોની આપ - લે થાય , સંસ્કાર - સરિતાનાં વહેણ વહેતાં થાય , ધાર્મિકતા કેળવાય અને એટલા જ માટે થયું આ સુંદર મેળાઓનું સર્જન . આવો જ એક સુંદર મેળો એટલે ઐઠોરમાં દર વર્ષે ચૈત્ર માસની સુદ ત્રીજથી પાંચમ સુધી ત્રણ દિવસનો યોજાતો મેળો એટલે ગણપતિદાદાનો ચોથનો મેળો .
टिप्पणियाँ
एक टिप्पणी भेजें